આજથી અષાઢી નવરાત્રિનો પ્રારંભ:23 જુલાઈ સુધી કરો મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા

આજ (15 જુલાઈ) આષાઢ શુક્લ પક્ષની પ્રતિપદા (પહેલી તિથિ) છે અને આ તિથિથી ગુપ્ત નવરાત્રિની શરૂઆત થાય છે. ગુપ્ત નવરાત્રિમાં દેવી સતીની દસ મહાવિદ્યાઓની કૃપા મેળવવા માટે તંત્ર-મંત્ર સાથે જોડાયેલા લોકો વિશેષ સાધના કરે છે.
હિન્દી પંચાંગમાં એક વર્ષમાં ચાર વાર નવરાત્રિઓ આવે છે. પહેલી ચૈત્ર માસમાં, બીજી આષાઢમાં, ત્રીજી આશ્વિનમાં અને ચોથી માઘ માસમાં. ચૈત્ર અને આશ્વિન માસમાં પ્રકટ નવરાત્રિ રહે છે, જ્યારે આષાઢ અને માઘ માસમાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, ગુપ્ત નવરાત્રિમાં દેવી સતીની દસ મહાવિદ્યાઓની કૃપા મેળવવા માટે ગુપ્ત સાધનાઓ કરવામાં આવે છે. આ મહાવિદ્યાઓમાં મા કાલી, તારા દેવી, ષોડષી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી, અને કમલા દેવી સામેલ છે. આ સાધનાઓ તંત્ર-મંત્ર સાથે જોડાયેલા સાધકો જ કરે છે. સામાન્ય ભક્તોએ આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની જ પૂજા કરવી જોઈએ.
આજ રોજ 15 જુલાઈના રોજ મા શૈલપુત્રીની પૂજા સાથે ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારબાદ મા બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે. પૂજા કરતી વખતે દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકાય છે. ઘણા ભક્તો આ નવ દિવસોમાં વ્રત પણ કરે છે.
બે ઋતુઓના સંધિકાળમાં આવે છે નવરાત્રિ
દેવી પૂજાના નવ દિવસીય ઉત્સવ નવરાત્રિનો સંબંધ ઋતુઓ સાથે છે. જ્યારે બે ઋતુઓનો સંધિકાળ હોય છે, તે સમયે દેવી પૂજાનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે. સંધિકાળ એટલે એક ઋતુના સમાપ્ત થવાનો અને બીજી ઋતુના શરૂ થવાનો સમય. ચૈત્ર માસની નવરાત્રિના સમયે વસંત ઋતુ સમાપ્ત થાય છે અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે. આષાઢ માસની નવરાત્રિના સમયે ગ્રીષ્મ ઋતુ સમાપ્ત થાય છે અને વર્ષા ઋતુ શરૂ થાય છે. આશ્વિન નવરાત્રિના સમયે વર્ષા ઋતુ સમાપ્ત થાય છે અને શીત ઋતુ શરૂ થાય છે. માઘ માસની નવરાત્રિના સમયે શીત ઋતુ સમાપ્ત થાય છે અને વસંત ઋતુ શરૂ થાય છે.
ગુપ્ત નવરાત્રિની પૂજા વિધિ
ચૈત્ર અને શારદીય નવરાત્રિની તુલનામાં ગુપ્ત નવરાત્રિમાં દેવીની સાધના વધારે મુશ્કેલ હોય છે. આ દરમિયાન માતા દુર્ગાની આરાધના ગુપ્ત રાખવામાં આવે છે. માટે જ, તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. આ નવરાત્રિમાં માનસિક પૂજાનું મહત્ત્વ છે. વાંચન પણ ગુપ્ત હોય છે એટલે મંત્ર પણ મનમાં જ વાંચવામાં આવે છે. આ દિવસોમાં સાવધાની રાખવી પણ જરૂરી છે. ગુપ્ત નવરાત્રિ માત્ર તાંત્રિક વિદ્યા માટે જ હોય છે તેવો કોઇ નિયમ નથી.
આવી રીતે કરી શકો છો દેવી દુર્ગાની પૂજા
1. પૂજાઘરના મંદિરમાં સૌથી પહેલા ગણેશ પૂજા કરવી જોઈએ.
2. ગણેશજીને સ્નાન કરાવો.
3. વસ્ત્ર અર્પણ કરો.
4. ફળ-ફૂલ, ચોખા, દૂર્વા ચઢાવો.
5. ગણેશ પૂજા પછી દેવી પૂજન કરો.
6. માતા દુર્ગાનો જળ, પંચામૃત અને ફરી જળથી અભિષેક કરો.
7. દેવીને વસ્ત્ર અર્પણ કરો.
8. વસ્ત્રો પછી આભૂષણ, હાર ચઢાવો.
9. અત્તર અર્પણ કરો.
10. કુમકુમથી તિલક કરો.
11. ધૂપ અને દીપ પ્રગટાવો.
12. લાલ ફૂલ અર્પણ કરો.
13. ચોખા ચઢાવો.
14. નાળિયેર અર્પણ કરો.
15. ભોગ ધરાવો.
16. આરતી કરો.
17. આરતી પછી પરિક્રમા કરો.
18. માતા દુર્ગાની પૂજામાં ૐ દું દુર્ગાયૈ નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.
19. પૂજાના અંતમાં જાણી-અજાણી ભૂલો માટે ક્ષમા માંગો.
20. પૂજા પછી પ્રસાદ વહેંચો અને પોતે પણ લો.
નવરાત્રિમાં વ્રત કરવાથી મળે છે સ્વાસ્થ્ય લાભ
આયુર્વેદ અનુસાર, વ્રત-ઉપવાસ કરવાથી આપણા પાચનતંત્રને આરામ મળે છે. ખાનપાનમાં સંયમ રાખવાથી આપણે પેટ સંબંધિત અનેક બીમારીઓથી બચી શકીએ છીએ. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જ્યારે આપણે ખાનપાનમાં સંયમ રાખીએ છીએ, ત્યારે આળસ આવતી નથી અને મન પૂજા-પાઠમાં લાગેલું રહે છે. પૂજા-પાઠ પછી એકાગ્ર મનથી કરવામાં આવેલા અન્ય કાર્યોમાં પણ સફળતા મળે છે. નવરાત્રિના દિવસોમાં દેવી માના ભક્તો અન્નનો ત્યાગ કરે છે, આ દરમિયાન શરીરને જરૂરી ઊર્જા મળતી રહે તે માટે ભક્તો દિવસમાં એકવાર ફળાહાર કરે છે. દેવી પૂજા અને સાધનાઓથી ભક્તોનું મન શાંત થાય છે, નકારાત્મક વિચારો દૂર થાય છે.

