Ram Mandir દાન ચોરી મામલે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું ‘એક CA પણ SITમાં હોવો જોઈએ’

સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર તરફથી SIT માટે સૂચવાયેલા અધિકારીઓના નામ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તે આધારે SITના ગઠનની પ્રક્રિયાને મંજૂરી આપી.
રામ મંદિર દાન ચોરીના આરોપોની તપાસ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં તપાસની સીધી દેખરેખ રાખવાનો ઈનકાર કર્યો છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને યોગ્ય રીતે થવી જોઈએ. આ સાથે કોર્ટે વિશેષ તપાસ ટીમ (SIT)માં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એક ફોરેન્સિક ઓડિટરને સભ્ય તરીકે સામેલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે.
અધિકારીઓના નામ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા
સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર તરફથી SIT માટે સૂચવાયેલા અધિકારીઓના નામ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તે આધારે SITના ગઠનની પ્રક્રિયાને મંજૂરી આપી. SITનું નેતૃત્વ શ્કિરણ એસ કરશે. તેમની સાથે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG), ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) સ્તરના અધિકારીઓ પણ તપાસમાં સામેલ રહેશે.
સુપ્રીમ કોર્ટે આ માગ ફગાવી દીધી
કોર્ટમાં એક અરજદારે સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસની સીધી દેખરેખ રાખવાની માગ કરી હતી. જોકે, મુખ્ય ન્યાયાધીશે આ માગ ફગાવતા જણાવ્યું કે કોર્ટ તપાસની દેખરેખ નહીં રાખે. તેમ છતાં તપાસ એજન્સીએ નિષ્પક્ષતા અને પારદર્શિતા જાળવીને કાર્યવાહી કરવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે SITને તપાસની પ્રગતિ અંગે સ્થિતિ અહેવાલ (સ્ટેટસ રિપોર્ટ) રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે.

