ભારતનો પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપિત
સ્કાયરૂટ એરોસ્પેસે જણાવ્યું કે પ્રથમ ઉડાન દરમિયાન પ્રાપ્ત થયેલા ડેટાનું વિશ્લેષણ કરીને રોકેટની ગાઇડન્સ અને નેવિગેશન સિસ્ટમનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ માહિતીના આધારે ભવિષ્યના વ્યાવસાયિક અવકાશ પ્રક્ષેપણોને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવવામાં મદદ મળશે.

નવી દિલ્હી: 18 જુલાઇ : ભારતના અવકાશ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. હૈદરાબાદ સ્થિત ખાનગી અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત દેશનો પ્રથમ ખાનગી ઓર્બિટલ-ક્લાસ લોન્ચ વ્હીકલ ‘વિક્રમ-1’નું શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
ત્રણ સોલિડ-ફ્યુઅલ સ્ટેજ અને એક લિક્વિડ ઓર્બિટલ એડજસ્ટમેન્ટ મોડ્યુલથી સજ્જ વિક્રમ-1 રોકેટને નાના ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.
આ લોન્ચ વ્હીકલ 60 ડિગ્રીના ઇન્ક્લિનેશન સાથે 450 કિલોમીટર ઊંચાઈના લો અર્થ ઓર્બિટ (LEO)માં 350 કિલોગ્રામ સુધીના પેલોડ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
વિક્રમ-1નું સફળ પ્રક્ષેપણ ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યું છે. આ સિદ્ધિથી વૈશ્વિક સ્મોલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં ભારતની હાજરી વધુ મજબૂત બનવાની સાથે ખાનગી કંપનીઓ માટે નવી તકોના દ્વાર ખુલ્યા છે.
વિક્રમ-1નું ઐતિહાસિક મિશન સફળ, અનેક પેલોડ્સનું સફળ પ્રક્ષેપણ
નવી દિલ્હી: ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ-ક્લાસ રોકેટ વિક્રમ-1ના સફળ પ્રક્ષેપણ બાદ સ્કાયરૂટ એરોસ્પેસે સોશિયલ મીડિયા પર લખ્યું, “હેલો સ્પેસ, અમે આવી ગયા છીએ! વિક્રમ-1નું ટેસ્ટ ફ્લાઇટ-1 મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ભારતીય ખાનગી ક્ષેત્રનું પ્રથમ અવકાશ પ્રક્ષેપણ સફળ રહ્યું છે.”
અનેક પેલોડ્સનું સફળ સ્થાપન
પ્રક્ષેપણ બાદ વિક્રમ-1એ 450 કિલોમીટર ઊંચાઈના લો અર્થ ઓર્બિટ (LEO)માં અનેક પેલોડ્સ સફળતાપૂર્વક સ્થાપિત કર્યા. મિશનમાં ગ્રાહા સ્પેસ, કોસ્મોસર્વ સ્પેસ, ડીક્યુબ્ડ (DCUBED) તેમજ સ્કાયરૂટ એરોસ્પેસના સ્વદેશી સ્કોપ (SCOPE) ઉપગ્રહ સહિતના ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન પેલોડ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સરકારી નિવેદન મુજબ રોકેટે અનેક સ્મારક પેલોડ્સ પણ અવકાશમાં પહોંચાડ્યા હતા. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હસ્તલિખિત “વંદે માતરમ” સંદેશ ધરાવતું પોસ્ટકાર્ડ, ઇજનેરો, વૈજ્ઞાનિકો અને ભારતીય અવકાશયાત્રીઓના પોસ્ટકાર્ડ, 18 કેરેટ સોનાનું લઘુ રોકેટ મોડેલ તથા માઇક્રો-આર્ટ ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે.
આ માઇક્રો-આર્ટમાં ભારતના અવકાશ અને વૈજ્ઞાનિક વિકાસના ત્રણ મહાન પાયોનિયર ડૉ. વિક્રમ સારાભાઈ, સર સી.વી. રામન અને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની લઘુ પ્રતિમાઓ સામેલ છે. સ્કાયરૂટ એરોસ્પેસના જણાવ્યા અનુસાર આ કૃતિ તેમના વૈજ્ઞાનિક યોગદાનને સમર્પિત છે.

