રામ મંદિર દાન ચોરી વિવાદ: ચોરીના પ્રાયશ્ચિત માટે ટ્રસ્ટે શરૂ કરી શુદ્ધિકરણ વિધિ

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી 10 દિવસની શુદ્ધિકરણ વિધિને ખાસ મનાય છે કારણ કે તેનો હેતુ તાજેતરમાં થયેલી કથિત પ્રસાદ ચોરીનું પ્રાયશ્ચિત કરવાનો છે.
અયોધ્યા: 19 જુલાઇ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ધાર્મિક વિધિઓની પરંપરા નવી નથી. જોકે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી 10 દિવસની શુદ્ધિકરણ વિધિને ખાસ માનવામાં આવે છે કારણ કે તેનો હેતુ તાજેતરમાં થયેલી કથિત પ્રસાદ ચોરીનું પ્રાયશ્ચિત કરવા અને ભગવાન પાસેથી ક્ષમા મેળવવાનો છે.
વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ ચાલુ
ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીની પરિકલ્પના પર આધારિત આ ખાસ વિધિ બુધવારથી શરૂ થઈ હતી. ગોવિંદ દેવ ગિરીએ શુક્રવારે જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં પ્રસાદ ચોરી થયા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરની પવિત્રતા અને ગૌરવ જાળવવા માટે મંદિર સંકુલ અને વિવિધ ગુરુકુળોમાં પ્રાયશ્ચિત અને શુદ્ધિકરણ માટે 10 દિવસની ખાસ વિધિ શરૂ કરી છે. આના ભાગ રૂપે અયોધ્યામાં વિવિધ ગુરુકુળો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરી રહ્યા છે. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ દરરોજ ઓછામાં ઓછા 251 વખત થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રમાં ભગવાન વિષ્ણુના એક હજાર નામોનો પાઠ શામેલ છે. હિન્દુ માન્યતા અનુસાર, આ વિધિ સકારાત્મકતા, સમૃદ્ધિ અને શુભ પરિણામો લાવે છે. ટ્રસ્ટના સભ્ય દિનેન્દ્ર દાસે જણાવ્યું હતું કે રામ લલ્લા સ્થળ પર થયેલી ભૂલો સુધારવા માટે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે વાલ્મીકિ રામાયણનું પણ એકસાથે પાઠ કરવામાં આવી રહ્યો છે.

