સોનમ વાંગચુકની ભૂખ હડતાળનો 17મો દિવસ: મહુઆ, ઉદ્ધવ સહિત અનેક આગેવાનો અને અભિનેતા ઓમી વૈદ્યની અપીલ

લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ, શિક્ષણ સુધારક અને નવપ્રવર્તક સોનમ વાંગચુકની ભૂખ હડતાળ મંગળવારે 17મા દિવસે પહોંચી છે. તેમની બગડતી તબિયતને લઈને રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો અને ફિલ્મ જગતની હસ્તીઓએ તેમને હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી છે તેમજ કેન્દ્ર સરકારને તેમની સાથે સંવાદ શરૂ કરવાની માંગ કરી છે.
કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને આજે 25 દિવસ પૂર્ણ થયા છે. પાર્ટીનો આરોપ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમની માંગણીઓ અંગે ચર્ચા કરવા તૈયાર નથી.
CJPના સ્થાપકે જણાવ્યું કે, ભૂખ હડતાળ દરમિયાન સોનમ વાંગચુકનું વજન આશરે 8.5 કિલોગ્રામ ઘટ્યું છે અને તેમનું બ્લડ પ્રેશર 109/70 નોંધાયું છે. લાંબા ઉપવાસને કારણે તેમના શરીરમાં સ્નાયુઓનો ક્ષય (મસલ માસ લોસ) શરૂ થયો હોવાનું પણ જણાવાયું છે.
સામાજિક કાર્યકર દીપકેએ વાંગચુક સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમણે હડતાળ સમાપ્ત કરવા વિનંતી કરી હતી. તેના જવાબમાં વાંગચુકે કહ્યું, “મને ઉપવાસ છોડવાનું ન કહો, સરકારને પૂછો કે તેઓ અમારી સાથે વાતચીત કેમ નથી કરતા.” આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઇત્રા અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત અનેક આગેવાનોએ પણ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.
“હું નથી ઇચ્છતો કે ‘ફુન્સુખ વાંગડુ’નું મૃત્યુ થાય.”:ઓમી વૈદ્ય
બીજી તરફ, ફિલ્મ ‘3 ઇડિયટ્સમાં ‘ચતુર’નું પાત્ર ભજવનારા અભિનેતા ઓમી વૈદ્યએ સોશિયલ મીડિયા પર ભાવુક વીડિયો શેર કરીને લોકોનું ધ્યાન આ મુદ્દા તરફ દોર્યું. વીડિયોમાં તેમણે કહ્યું, “હું નથી ઇચ્છતો કે ‘ફુન્સુખ વાંગડુ’નું મૃત્યુ થાય.”
ઓમી વૈદ્યએ જણાવ્યું કે ફિલ્મમાં આમિર ખાનનું ‘ફુન્સુખ વાંગડુ’ પાત્ર સોનમ વાંગચુકના જીવન પરથી પ્રેરિત હતું. તેમણે વાંગચુકને એક નમ્ર, પ્રેરણાદાયી અને સમાજ માટે કાર્યરત વ્યક્તિ ગણાવી હતી.

