અમારા હાથમાં તલવાર હશે, અને તમારૂં માથું હશે, સમજૂતી અંગે ઇરાનમાં વ્યાપેલો આંતરકલહ

તહેરાન: અમેરિકા સાથેનાં યુદ્ધ વચ્ચે હવે ઇરાનમાં આંતરકલહ વ્યાપી રહ્યો છે. દેશના સર્વોચ્ચ નેતા અલિ ખામેનેઇનાં મૃત્યુ પછી દેશમાં ટેન્શન વધી ગયું છે. ત્યાં તખ્તા પલટાની આશંકા વ્યાપી રહી છે. અમેરિકા સાથે થયેલા યુદ્ધ વિરામ અંગે પણ કટ્ટરપંથી જૂથો આગ બબુલ છે. આ કટ્ટરપંથીઓએ પ્રમુખ મસૂદ પેઝેસ્કીયન અને વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સામે મોરચો તો ખોલી જ નાખ્યો છે, પરંતુ તેમનાં ગળાં કાપી નાખવાની ધમકીઓ અપાઈ રહી છે.
સીએનએન જણાવે છે કે ગત દિવસોમાં તહેરાનમાં જ્યારે દિવગંત નેતા અલી ખામેનેઇનના જનાજામાં ત્યારે માહોલ ગમગીન હોવાને બદલે હિંસક અને રાજકીય આક્રોશ સભર બની રહ્યો હતો.
કાળા કપડાંમાં પહોંચેલા હજ્જારો પ્રદર્શનકારીઓ અને કટ્ટરપંથીઓએ દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપવા સાથે ભીડે પ્રમુખની સામે જ સમજૂતી કરનારાઓ મુર્દાબાદ તેવા નારા શરૂ કરી દીધા હતા. તેટલું જ નહીં પરંતુ મંત્રણાનો કમાન્ડ સંભાળનારા અને ઇરાન સામેના પ્રતિબંધો હઠાવનાર વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી ઉપર તો પથ્થરમારો ભીડે શરૂ કરતાં તેમને જુલુસમાંથી નાસી જવું પડયું હતું તેને ભીડે ગદ્દાર અને વેચાઉ સુધીના ઉપાલંભો આપ્યા હતા.
આ ઘટના ઉપરથી એક થીયરી તો સ્પષ્ટ તરી આવે છે કે ઇરાન હવે કટ્ટરપંથીઓના હાથમાં સરી રહ્યું છે. અલી ખામેનેઇનાં મૃત્યુ પછી તેઓના પુત્ર મોજતબા ખામેનેઇને સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. પરંતુ તેવો કેટલાયે સમયથી જાહેરમાં દેખાતા જ નથી. ન તો દેશને સંબોધન કર્યું છે ન તો જાહેરમાં દેખાયા છે. કેટલાક કહે છે કે તેઓની જાન ખતરામાં છે. તો કેટલાક કહે છે કે તેવો શારિરીક રીતે અક્ષમ છે.મોજતબાની આ રહસ્યભરી ગેરહાજરી અંગે ઇઝરાયલી જાસૂસી સંસ્થાનું કહેવું છે કે મોજતબા ઇરાનમાં જ નથી. જો કે તેઓ ક્યાં છે તે નિશ્ચિત રીતે જાણી શકાતું નથી.
કટ્ટરપંથીઓનું કહેવું છે કે પ્રમુખ પેઝેશ્કીયાન અને મુખ્ય મંત્રણાકાર મોહમ્મદ બાઘેલ ગાલીબાફ તથા વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સર્વોચ્ચ નેતાના આદેશથી વિરદ્ધ જઇ અમેરિકી પ્રસાસન સાથે મંત્રણા કરી રહ્યા છે.
કટ્ટરપંથી સાંસદ મહમદ નાબવિયાને સોશ્યલ મીડીયા ટ પ્લેટફોર્મ ઉપર ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું છે કે શું દેશમાં તખ્તા પલટો થવાનો છે ?
ટૂંકમાં અત્યારે તો તેમ લાગે છે કે ઇરાનમાં સત્તા કોના હાથમાં છે. તે જ જાણી શકાતું નથી. અત્યારે તો લશ્કરી ટુકડીઓના કમાન્ડરો પોતાને મન ફાવે તે રીતે લડે રાખે છે. સ્વીકાર્ય છે કે ઇરાનનાં લશ્કર અને જનતા બંનેનો જુસ્સો અદમ્ય છે. પરંતુ મધ્ય યુગી માનસમાં જીવતા ઇરાનના કટ્ટરપંથી નેતાઓ દેશને અને યુદ્ધને ક્યાંનાં ક્યાં લઇ જશે તે કહી શકાય તેમ નથી તેવું વિશ્લેષકોનું મંતવ્ય છે.

